કેયુરના લગ્ન અને નર્મદામાં ધુબાકા!

કોલેજ હોસ્ટેલના મિત્રમંડળમાંથી ખાસ એવા કેયુરના લગ્ન ૨જી તારીખે હતા. લગ્ન રાજપીપળા જીલ્લાના સિસોદરા ગામે હતા. લાગતું નહોતું કે જવાશે પણ અચાનક જ બધું બરાબર ગોઠવાઇ ગયું. ૧લી મે તો જાહેર રજા હતી. ૨-૩ મેની રજા લઇ લીધી. માં-દિકરો ને હું. અમે ત્રણેય જણા સવારે પૂનાથી ૦૯:૦૦ વાગ્યે જીપમાં નીકળી ગયા. જીપમાં આ વખતે તડકો ઘણો લાગ્યો. લગભગ બપોરે ૦૩:૦૦ વાગ્યે પારડી પહોંચી ગયા. પારડી નિરાંતે બધા સાથે જમ્યા. લગભગ કલાકેક પછી ૦૪:૦૦ વાગ્યે હું એકલો સિસોદરા તરફ આગળ નીકળી પડયો.

બાકીની ગેંગ તો ક્યારની મુકામે પહોંચી ચુકી હતી. પારડી-વલસાડ-નવસારી-સુરત-અંક્લેશ્વર સુધી રસ્તો જાણીતો હતો એટલે ફટાફટ અંક્લેશ્વર આવી ગયું. અંક્લેશ્વર આગળ રસ્તાની તપાસ કરી. આગળ અંક્લેશ્વર-ઝઘડીયા-રાજપારડી-ઉમલ્લા-પ્રતાપનગર-આમલેથા-સજવા થઇને સિસોદરા પહોંચવાનુ હતું. રાજપારડી ડીઝલ પુરાવ્યું. સાંજ પડી ગઈ હતી અને ખોટા રસ્તે ના ચડી જવાય એટલે પ્રતાપનગર આગળ રસ્તો પુછવા ઉભો રહ્યો. નાનપણથી ઉપલેટા નામ સાંભળેલું એટલે તેને અનુકૂળ થવા પ્રબુદ્ધ મગજે આમલેથા નું કરી નાખ્યું અમલેટા. હવે પ્રતાપનગર ચોકમાં બધા ગુંચવાણા કે આ અમલેટા આવ્યું ક્યા? પછી એક સજ્જનને ચમકારો થયો અને બોલ્યા –

આમને તો આમલેથા જાવુ છે આમલેથા! ફોરેનથી આયા લાગે છે એટલે આમલેથાને અમલેટા કહે છે. 🙂

શિનોર તથા સિસોદરા વચ્ચે વહેતી નર્મદાનો સેટેલાઇટ વ્યુ.

પછી આગળ ક્યાંય રોકાયા વગર સાંજના ૦૭:૩૦ વાગ્યે સિસોદરા પહોંચી ગયો. સિસોદરા ગામ એકદમ નર્મદા કાંઠે આવેલું છે. ગામના પાદરે જ નર્મદા વહેતી જાય. સામે કાંઠે શિનોર ગામ છે અને બન્ને ગામ વચ્ચેનો વ્યવહાર હોડકાથી (ગોવારીકરની “સ્વદેશ” જેવો જ) ચાલે છે.  અમારો ઉતારો ગામ બહાર કેળના ખેતરે હતો. ઘણા દિવસે બધા ભેગા થયા હતા એટલે ૨-૩ કલાક તો ગપાટા જ હાલ્યા. ખેતરમાં પાણી વાળવાનો કૂવો હતો. રાતે ૧૧:૦૦ વાગ્યે પાણી આવ્યું. બીજુ શું જોઇએ! અમે મુસાફરીનો થાક ઉતારવા કૂવાના પાણીથી જ ઉતાર્યો.

ફાર્મહાઉસમાંથી દેખાતી કેળ.

લગ્નદિવસ. ગામમાં બધા જાન ઉપાડવાની તૈયારીમાં પડી ગયા હતા. અમારે તો કોઇ કામ ધંધો હતો નહિ એટલે મોડા ઉઠ્યા. હવે પછી એક જ કામ હતું. નર્મદાસ્નાન. જેમ કુંભમેળામાં અઘોરીના સંઘો ગંગામાં શાહીસ્નાન માટે ઉતરે તેમ અમારી ગેંગ પણ ફાજલસ્નાન માટે ઉતરી પડી. પાણી ગોઠણીયું અને એકદમ સાફ હતું. અમે લગભગ ૨-૩ કલાક અલક-મલકની વાતો કરતા નદીમાં જ કાઢ્યા.

ક્યાંથી ધુબાકો મારવો એ નક્કી કરતી ગેંગ!
નર્મદાના ચોખ્ખા નીર અને શિનોરનો રમણીય કાંઠો.

પછી થયુ કે લગ્નમાં સમયે પહોંચવું સારુ. પાછા ગામે આવ્યા. કેયુર પાસે ગયા. થોડોક પાનો ચડાવ્યો. ફોટા પાડ્યા અને અમે પોર(લગ્ન સ્થળ) તરફ નીકળી ગયા. લગ્ન સરસ થયા. સાંજે લગભગ ૦૮:૩૦ વાગ્યે હું અને દીક્ષિત અમદાવાદ તરફ નીકળી ગયા.

Published by

WealthJiffy

વેલ્થ જીફી – ગુજરાતીમાં વ્યક્તિગત નાણાકીય આયોજનની જાણકારી

3 thoughts on “કેયુરના લગ્ન અને નર્મદામાં ધુબાકા!”

    1. ધોધનો તો ખ્યાલ નથી. આવ્યા તો હતા લગ્નમાં પણ પછીતો ત્યાં એટલી બધી મજા આવી કે લગ્ન રહી ગયા આઘા અને અમે નર્મદામય થઇ ગયા.

Leave a comment